એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને કેન્દ્રીય મંત્રી દ્વારા ફ્લેગ ઓફ

સુરત:સોમવાર: કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાં માટે ફલેગ ઓફથકી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત, મંત્રીશ્રીના હસ્તે એલ.એન્ડ ટી. કંપની દ્વારા નિર્મિત થયેલા ઈથીલિન ઓકસાઈડ રિએક્ટરને ઓરીસાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. માટે પણ ફ્લેગ ઓફ આપી હતી. સાથોસાથ એલ એન્ડ ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઈક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઈથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશના બીજા ક્રમના સૌથી મોટા ડિ-ઈથીલાઈઝર અને વોશ ટાવરને પણ L&T રોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય મંત્રીએ પ્રસ્થાન કરાવ્યાં હતાં.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરતનું હજીરા L&T યુનિટ ‘આત્મનિર્ભર ભારત’નું જીવંત ઉદાહરણ છે. ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતી L&T કંપનીએ સ્વદેશી ટેન્કો બનાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સાથોસાથ ઓડિશાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા MEG (મોનો ઇથિલીન ગ્લાયકોલ) પ્રોજેક્ટ અંતર્ગત રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથકી સુરતના હજીરામાં બનેલા સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો જેવા કે, ઈથિલિન ઓક્સાઈડ રિએક્ટર, વોશ ટાવર, અને ડી-ઈથિલેનાઇઝર ખુબ ઉપયોગી પૂરવાર થશે. આ પ્રોજેક્ટ દ્વારા ઓરિસ્સાના સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર પ્રદાન થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સુરતના હજીરાનું પણ પૂર્વ ભારતના વિકાસ -‘પૂર્વોદય’માં મહત્વનું યોગદાન છે એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના અને ‘પૂર્વોદય’નું વિઝન સાકાર થઈ રહ્યું છે. સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો મોનો ઈથીલિન ગ્લાયકોની આયાત ઘટાડશે અને રિફાઇનરીની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સુરતની ધરતી પૂર્વ ભારતના વિકાસમાં પણ સહયોગ આપી રહી છે. હજીરાની મહાકાય કંપનીઓ ‘મેક ઈન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે એમ જણાવી તેમણે હજીરા L&Tને સ્વદેશી ટેન્કો તેમજ સુપર ક્રિટીકલ ઇક્વિપમેન્ટસના ઉત્પાદન બદલ અભિનંદન આપ્યાં હતાં સાથે દેશના વિકાસમાં પૂર્ણ સહયોગ મળશે તેવી ભાવના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ ઓઈલ એન્ડ ગેસ મોડ્યુલર ફેબ્રિકેશન ફેસિલિટી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે ટેંકની ક્ષમતાઓ અને યુદ્ધ સમયની મહત્વની કાર્યશૈલી દર્શાવતું નિદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલના એમ.ડી અને સીઈઓશ્રી એસ.એમ.વૈદ્ય,L&Tના સી.ઈ.ઓ અને એમ.ડી.શ્રી એસ.એન.સુબ્રમણ્યમ, L&T, હજીરા પ્લાન્ટ હેડશ્રી વાય.એસ.ત્રિવેદી, હોલટાઈમ ડિરેક્ટરશ્રી સુબ્રમણ્યમ શર્મા, પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ, એલ એન્ડ ટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-

Leave a Reply

Translate »