ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય

સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા
—————-
અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પાણી આવે પાળ બાંધવા ટેવાયેલા વહીવટી તંત્રે સુરતની  સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવાં ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજી હતી અને 70થી વધુ કર્મચારીઓ્ને બેઝિક તાલીમ આપી  હતી.

નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી દ્વારા સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત સિવિલના 70થી વધુ કર્મચારીઓને અગ્નિશામકોના ઉપયોગ અને ઈમરજન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન નિવારવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટના સમયે અગમચેતીના પગલાંરૂપે સુરક્ષાકર્મીઓને અગ્નિશામક જેવા બચાવના સાધનોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે.


હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, સુરતમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્રવાહકોને બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિંગ યોજીને તાલીમ આપવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની આસપાસ માત્ર એમ્બ્યુલન્સને જ પાર્કિંગ પરવાનગી આપવામાં આવી છે. જયારે આસપાસનો વિસ્તાર ‘પાર્કિંગ ફ્રી’ એરિયા રહેશે. જેથી આગ જેવી આકસ્મિક ઘટનામાં બચાવના વાહનોની અવરજવર અબાધિત રીતે થઈ શકે અને બચાવકાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય.

ઉલ્લેખનીય છે કે સુરત ફાયર વિભાગે એક દિવસ પહેલા 800 જેટલી હોસ્પિટલોમાં ફાયર ફાયટિંગ સિસ્ટમની ચકાસણી કરી હતી. જેમાં 111 હોસ્પિટલો તો એનઓસી વિના ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પરિણામે તેઓને નોટિસ ફટકારી હતી. ઘટના બને ત્યારે હરકતમાં આવવું એના કરતા હંમેશા માટે તકેદારી ફાયર વિભાગ રાખે તેવો લોકસુર છે.

Leave a Reply

Translate »