સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનો સૌથી મોટો ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ મળશે

  • રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે

ગુરુવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ની જાહેરાત કરી છે. દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’

રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે.

પોલિટિક્સમાં નો એન્ટ્રી
3 મહિના પહેલાં દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા રજનીકાંતે રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે બહાર પાડેલાં નિવેદનમાં કહ્યું હતું કે ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. રજનીકાંતે પોતાના આ નિર્ણય માટે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે તેમના બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો તેમની કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.

ડિસેમ્બરમાં રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી

ડિસેમ્બરમાં રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી

રજનીકાંતે અનેક વર્ષોની અટકળ પછી ડિસેમ્બર 2017માં જાહેર કર્યું હતું કે તેઓ 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરશે. આ માટે રજની મક્કલ મંદરમ નામના બિનરાજકીય સંગઠનની પણ રચના કરી હતી. ત્યારપછી હાલમાં 3 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જાન્યુઆરી 2021માં રાજકીય પક્ષની રચના કરશે.

રજનીકાંતની કિડનીનું પ્રત્યારોપણ થઈ ચૂક્યું છે
હકીકતમાં રજનીકાંતની કિડની ખરાબ થવાથી 2016માં પ્રત્યારોપણ દ્વારા તેમને નવી કિડની અપાઈ હતી. બ્લડપ્રેશર અનિયમિત રહેતા તેમની કિડનીને નુકસાન થવાનું જોખમ હમેશા રહે છે. હાલમાં આ સમસ્યાને કારણે તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 27મીએ તેમને રજા અપાઈ હતી.

વધુમાં, રજનીકાંતે કહ્યું હતું, ‘રાજકારણમાં આવ્યા વગર તેઓ લોકોની સેવા કરશે. મારા નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો. હું એવું નથી ઈચ્છતો કે લોકો એમ સમજ કે મને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો છે.’

25મી ડિસેમ્બરે એડમિટ કરવામાં આવ્યા હતા
ગયા વર્ષે સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.

ડિસ્ચાર્જ બાદ ઘરે પહોંચ્યા તો પત્નીએ ચાંદલો કરીને સ્વાગત કર્યું

કોરોના રિપોર્ટ નેગેટિવ
ગયા વર્ષે રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

21 દિવસમાં તમિલ શીખી, ડિરેક્ટરે રજનકાંત નામ આપ્યું
​​​​​​​​​​​​​​
પ્રખ્યાત નિર્માતા કે.બાલાચંદ્રન મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં લેક્ચર આપવા આવ્યા હતા. બાલાચંદ્રને સંસ્થાની કન્નડ બેચના વિદ્યાર્થી રજનીકાંતને ફિલ્મ ‘અપૂર્વા રંગાંગલ’માં એક ભૂમિકા ઓફર કરી. શરત મૂકી કે તેમણે તમિલ શીખવી પડશે. મરાઠી અને કન્નડભાષી રજનીકાંતે માત્ર 21 દિવસમાં તમિલ શીખી લીધી હતી. 27 માર્ચ, 1975ના રોજ રજનીકાંતે પ્રથમ વખત કેમેરાનો સામનો કર્યો. ડિરેક્ટર ઈચ્છતા ન હતા કે, દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શિવાજી ગણેશનના નામનો ઉપયોગ થાય, એટલે તેમણે શિવાજી રાવને નવું નામ આપ્યું – રજનીકાંત. 1983માં ‘અંધા કાનુન’ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. 45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ મિલાવીને કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે.

Leave a Reply

Translate »