રાજ્ય કરવેરા અધિકારીઓ દ્વારા એક્ષપાર્ટી એસેસમેન્ટની ધમકીને તાત્કાલિક અટકાવો

ડીન નંબર વગર વેપારીઓ જોડે થતા વ્યવહાર ને પણ અટકાવવા ચેમ્બર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા નાણામંત્રીને રજૂઆત

આજરોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય નાણાંમંત્રીશ્રીને ગુજરાત એસજીએસટી વિભાગ દ્વારા વેપારીઓને વેટ અને સીએસટી કાયદા હેઠળ થતી કનડગત અંગે રજૂઆત કરવામાં આવી છે. વર્ષ ર૦૧પ–૧૬ના રીએસેસમેન્ટ અને વર્ષ ર૦૧૬–૧૭ તથા વર્ષ ર૦૧૭–૧૮ની ઓડીટ આકારણીની કાર્યવાહી કરવા માટે રાજ્ય કરવેરા અધિકારીઓ દ્વારા વધુ પડતું દબાણ કરવામાં આવે છે તથા વેપારી ઓડીટ સમન્સ દ્વારા હાજર ન થાય તો એક્ષપાર્ટી હાયપીચ એસેસમેન્ટ કરવાની ધમકી અપાઈ રહી છે. વેટ અને સીએસટીની કાયદાકીય જોગવાઈ અનુસાર, વર્ષ ર૦૧૬–૧૭ તથા ર૦૧૭–૧૮ની ઓડીટ આકારણી વેટ કાયદાની કલમ–૩૪ પેટા કલમ(૯) અન્વયે અનુક્રમે તા. ૩૧/૦૩/ર૦ર૧ તથા ૩૧/૦૩/ર૦રર સુધીનો સમયગાળો આપેલ હોય તેમ છતાં કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન રાજ્યના વેટ અધિકારીઓ દ્વારા વેપારીઓને ઓડીટ આકારણી કરવા અર્થે તાત્કાલીક ધોરણે હાજર થવા ફરમાન કરવામાં આવી રહ્યું છે.ઉપરોક્ત અવ્યવહારુ વલણ વ્યાપારીઓને ઘણી મુશ્કેલી સર્જી રહ્યું હોય, આ વિષય અંગે ચેમ્બર દ્વારા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે, કોવિડ– ૧૯ મહામારીને ધ્યાને લઈ વેટ કાયદા હેઠળ ઓડીટ અંગેની કાયદાકીય સમયમર્યાદામાં વધારો કરી આપવા, એક્ષપાર્ટી એસેસમેન્ટની કાર્યવાહી અટકાવવા તથા કાયદામાં આપેલ સમયમર્યાદાનો લાભ વેપારીઓને મળવાપાત્ર થાય તેવું નિશ્ચિત કરવા રાજ્ય કરવેરા અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવા અંગે વિનંતી કરવામાં આવી છે.વધુમાં, હાલમાં રાજ્ય કરવેરા અધિકારીઓ દ્વારા ડીન નંબર વગર સમન્સ કે નોટીસ કે સૂચનાઓ ફાળવવામાં આવે છે, તેવું ન કરવા બદલ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ર૩/૧ર/ર૦૧૯ના પરિપત્ર નં. ૧ર૮/૪૭/ર૦૧૯– જીએસટી દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્‌ટ ટેક્‌સીસના કોઇપણ અધિકારી કોઈપણ વ્યાપારી જોડે જે પત્રવ્યવહાર કરે અથવા નોટીસ મોકલાવે એ તમામનો વિશિષ્ટ ડીન નંબર (ડોકયુમેન્ટ આઇડેન્ટીટી નંબર) હોવો જરૂરી છે. તેના અનુસંધાને દેશના માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીથારામન્‌ દ્વારા જણાવાયું હતું કે, કોઇપણ વ્યાપારીને સીબીઆઇસીના કોઇપણ અધિકારી દ્વારા કોમ્પ્યુટર જનરેટેડ ડીન નંબર ન હોય તેવો પત્રવ્યવહાર કે નોટીસ જો આવે તો તેને અમાન્ય ગણવી તથા તે નહિ મળ્યા બરાબર ગણવું.હાલમાં એસજીએસટીના અધિકારીઓ દ્વારા ઘણાં વેપારીઓને ડીન નંબર વગર પત્રવ્યવહાર તથા સમન્સ બજાવવામાં આવી રહ્યું છે, તે અંગે ઘણી ફરીયાદો આવતા ચેમ્બર દ્વારા ઉપરોક્ત રજૂઆત થકી અનુરોધ કરવામાં આવ્યો હતો કે, રાજ્યકરવેરા અધિકારીઓએ પણ ડીન નંબર થકી જ કોઈપણ સમન્સ, નોટીસ અથવા સૂચના વ્યાપારીઓને આપવી જોઈએ અને સીબીઆઇસીની માર્ગદર્શિકાને અનુસરવું જોઈએ.

Leave a Reply

Translate »