અઠવાગેટ: રોજ ભારે ટ્રાફિકજામ છતાં L&Tનું સર્કલ કેમ નાનું નથી કરાતું?

  • અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ગામના સર્કલ પણ મસમોટા, મોરાભાગળનું સર્કલમાં તો કેટલી વસ્તી વસી જાય તેટલું મોટું!!

સુરત ટ્રાફિક પોલીસે એક મહિના પૂર્વે એક અભિયાન ચલાવ્યું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું. તે કરાવતા કરાવતા તેઓ ટ્રાફિક આઈલેન્ડ, સર્કલ તોડાવવાનું અભિયાન પણ ચલાવ્યું પરંતુ વાહનોનો ટ્રાફિક જોઈએ તેવો ‘સ્મૂથ’, સરળ, મસ્કેદાર થયો નથી. અઠવાગેટ એલએનડી સર્કલ પર તો રોજ સવાર-સાંજ, બલ્કિ આખો દિવસ વાહનો ફસાય રહ્યાં છે. સરદાર બ્રિજ પર લાંબી કતારો લાગે છે, નીચે ઉતર્યા બાદ અઠવાલાઈન્સ જવામાં કે રિંગરોડ જવામાં પરસેવો છુટી જાય છે પરંતુ આ ટ્રાફિક સર્કલને નાનું કરવામાં, કે કરાવવામાં ટ્રાફિક પોલીસ કે સુરત મહાનગર પાલિકા રસ દાખવતી નથી. આવા જ આઈલેન્ડ મોરાભાગળ, અડાજણ પાટિયા, અડાજણ ગામ, ગુજરાત ગેસ સર્કલ વગેરે પણ છે પરંતુ તે હજી સુધી નજરે પડ્યા હોય તેવું દેખાતું નથી. અહીં રોજ ટ્રાફિકની મારામારી થાય છે. અડાજણરોડ પર તો રાત્રે નવ વાગ્યેથી લક્ઝરી બસનો અડ્ડીગો પણજામી થાય છે તે ટ્રાફિકમાં વધારો કરે છે. અડાજણપાટીયા જીલાની બ્રિજ પાસેનો ટ્રાફિક તો હાય તોબા પોકારી દે છે પણ સુધાર કરવામાં કોઈને રસ હોય તેવું લાગતું નથી. આવું લગભગ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે.

આવી વાતો થઈ હતી પણ…

ચોમાસામાં ચાર રસ્તાઓ પર પણ મોટા મોટા ખાડા પડતા સિગ્નલ ખુલ્યા પછી પણ વાહનો પસાર થઈ શકતા નથી!. બીજી તરફ, પોલીસ ઈન્ટરવ્યૂ આપી આપીને કહી રહી હતી કે , આ ટ્રાફિક સિગ્નલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઈ) બેઝ છે એટલે જે રસ્તા તરફ વાહનોની લાઈનો લાંબી હશે તે દિશાનું ગ્રીન સિગ્નલ ઓટોમેટિક લાંબું થઈ જશે પણ આમ થતું હોવાનું એક પણ એક્ઝામ્પલ સામે આવ્યું નથી. આજે પણ ઘણાં સિગ્નલો એવા છે કે ત્યાં ત્રણથી ચાર વાર લાઈનો ખુલવા છતા તમારું વાહન પસાર થઈ શકતું નથી. શરૂઆતના તબક્કા બાદ આકલન, અભ્યાસ, નિરિક્ષણ, એઆઈ બધુ જ બાજુમાં મુકી દેવાયું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બીજુ કે ટ્રાફિક પોલીસ એવું માનતી હતી કે ટ્રાફિક સર્કલ નાના કરવાથી ટ્રાફિક સમસ્યા ઉકેલાય જશે પણ એવું બન્યું હોય તેવું લાગતું નથી! જાણકારો કહે છે કે, રસ્તા મોટા કરવા કે ટ્રાફિક સર્કલ નાના કરવા વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે ટ્રાફિક ને કેવી રીતે મોડરેટ રાખવો. વાહનોની સંખ્યા કેવી રીતે ઘટાડવી. જૂના વાહનો કેવી રીતે રસ્તા પરથી દૂર કરવા. કેવી રીતે ડાયવર્ઝન સેટ કરવા કે એક તરફનો ટ્રાફિક બીજી જગ્યાએ અથડાય નહીં. રસ્તાઓ એક-બીજાને મળે નહીં. ગલી ખાંચાઓમાંથી વાહનો અચાનક આવી ન ચઢે. આવા સંખ્યાબંધ મુદ્દાઓ પર પોલીસ-મનપા અને પ્રશાસને કામ કરવું પડશે ત્યારે જ ટ્રાફિક નિયમન હળવું કરી શકાશે. હા, સ્ટાફ વધારો તો ખરો જ.!

નોંધ:સમાચાર માટે પ્રસિદ્ધ થયેલી તસ્વીર ફાઈલ છે. જે એક હિન્દી અખબારમાં છપાય હતી.

Leave a Reply

Translate »