સરાહનીય: રક્તની અછત દૂર કરવા ડાયમંડ કંપનીના 283 રત્નકલાકારોએ રક્તદાન કર્યું

કોરોના કટોકટી વચ્ચે રક્તની જરૂરિયાત પૂરી કરવાં સુરત શહેરના નાગરિકોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક રક્તદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હવે અંગદાન, રક્તદાન, નેત્રદાનમાં પણ સુરત મોખરે થઈ રહ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાત હોવાનું જણાતા સુરતની ‘જે.બી.એન્ડ બ્રધર્સ’ ડાયમંડ કંપનીની પ્રેરણાથી રત્નકલાકારભાઈઓએ રક્તની અછતને પૂરી કરવાનું બીડું ઉઠાવી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આ કંપનીના કુલ ૧૪૫૦ માંથી ૨૮૩ કર્મચારીઓએ રક્તદાન કરી ૨૮૩ યુનિટ રક્ત એકત્ર કર્યું, જેમાં સ્મીમેર બ્લડ બેંકમાં ૧૮૫ યુનિટ અને બાકીનું મહાવીર હોસ્પિટલમાં ૯૮ યુનિટ જમા કરાવી માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
સુરતના લાલદરવાજા વિસ્તારમાં આવેલી જે.બી.એન્ડ બ્રધર્સ કંપનીના માલિકશ્રી જીતુભાઈ બાબુલાલ શાહ અને શૈલેષભાઈ બાબુલાલ શાહની પ્રેરણાથી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. જીતુભાઈએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં લોકડાઉન અમલી બન્યું ત્યારે કામ બંધ હતું. લોકડાઉન પુર્ણ થતા ડાયમંડ યુનિટ સરકારની ગાઇડ લાઇન મુજબ ફરીવાર શરૂ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારો રોજીરોટી પૂરી પાડનાર કર્મભૂમિ સુરત શહેરનું ઋણ ચુકવવા અવારનવાર અનેક પ્રકારના લોકહિતના કાર્યોમાં યોગદાન આપે છે. આજે જ્યારે રક્તની જરૂર પડી છે, ત્યારે પણ એક સાથે અમારા ૩૦૦થી વધારે રત્નકલાકારોએ બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી છે, જેથી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળી શકે.


છેલ્લા ૨૫ વર્ષથી કંપનીના પ્રોડક્શન સંભાળતા નિતિનભાઈ પટેલે જણાવ્યું કે. ‘અમારી કંપનીમાં સેવાકીય પ્રવૃત્તિ રત્નકલાકારો હરહંમેશ તૈયાર હોય છે. આ અગાઉ પણ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરી એક જ દિવસમાં ૯૦૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પરંતુ રક્તદાનના આયોજન ઓછા થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે આજે રક્તની અછતની સ્થિતિ જોવા મળી રહી છે, એવું ધ્યાને આવતાં અમે અમારા કર્મચારીઓ સાથે મળીને સમાજને મદદરૂપ થવાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું નક્કી કર્યું હતું. અને કંપનીમાં જ રક્તદાન શિબિરનું આયોજન કરી ૨૮૩ યુનિટ રક્ત એકત્ર કર્યું છે, અને સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૮૫ યુનિટ જમા કરાવ્યુ, બાકીનું સુરતની મહાવીર હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જરૂર પડ્યે વધુ રક્દાન શિબરનું આયોજન કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.
નિતિનભાઈ જણાવે છે કે, અમારા પરિવારના સભ્યોના જન્મદિવસે ગૌશાળામાં જઈને ગૌસેવા, અનાથાશ્રમના બાળકોને ભોજન, મંદબુદ્ધિ લોકોના માનવસેવા આશ્રમમાં સેવા કરીને જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. આગામી માર્ચ મહિનામાં કંપનીના માલિકના જન્મદિવસે ફરી એકવાર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીશું એમ તેઓ ઉમેરે છે.
રક્તદાતા ૪૦ વર્ષીય જીતુભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, ૨૦ વર્ષની વયથી જ હું રક્તદાન કરૂ છું. યુવાનવયથી જ હું જે.બી. એન્ડ બ્રધર્સ કંપનીમાં કાર્યરત છે. કંપનીની પ્રેરણાથી અમે સામૂહિક રક્તદાન કર્યું છે, જરૂરિયાત ધરાવતાં દર્દીઓ માટે અમારૂં રક્ત ઉપયોગી થશે એનો અમને સવિશેષ આનંદ છે.
કંપનીમાં ૨૦ થી વધુ વર્ષોથી નોકરી કરતાં કુણાલભાઈ ગોહિલ ૧૫ વાર, પ્રફુલભાઈ રાદડિયા ૧૩ વખત, હિંમતભાઈ બલર ૨૦ વાર રક્તદાન કરી ચૂક્યા છે.

Leave a Reply

Translate »