બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઇ. આ દરમિયાન તેમણે કૃષિ કાયદાઓના સમર્થનમાં ટિપ્પણી કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિનું આત્મનિર્ભર થવું ઘણું જરૂરી છે. સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કર્યો જેનાથી ખેડૂતોને તેમની ઉપજના દોઢ ગણા એમએસપી મળી શકે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકાર આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સન્માન કરતાં તેનું પાલન કરશે. તેમણે કહ્યું કે, આજે દેશમાં ૮૦ ટકાથી વધુ નાના ખેડૂતો છે. જેની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. ત્રણ કૃષિ કાયદાઓને લીધે જે સુધારા થયા છે તેનો ૧૦ કરોડથી વધુ નાના ખેડૂતોને લાભ મળવાની શરૂઆત થઇ છે. મારી સરકાર નવા કાયદાઓ અંગે ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, મારી સરકાર સ્પષ્ટ કરવા માગે છે કે ત્રણ કૃષિ કાયદા બન્યાં તે પહેલાં જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકાર હતા અથવા સુવિદ્યાઓ હતી, તેમાં કોઇ કમી કરવામાં આવી નથી. ઉપરાંત આ કૃષિ સુધારાઓ દ્વારા સરકારે ખેડૂતોને નવી સુવિદ્યાઓ અપાવવાની સાથે નવા અધિકાર પણ આપ્યા છે.
રાષ્ટ્રપતિએ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ઝંડા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિન છેલ્લા કેટલાક દિવસોમાં અપમાનિત થયા છે. જે બંધારણ આપણે અભિવ્યક્તિની આઝાદી આપે છે, તે બંધારણ આપણને એ પણ શીખવાડે છે કે કાયદા વ્યવસ્થાનું ગંભીરતાથી પાલન કરવાનું છે.
ઉપરાંત રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશએ આ મહામારીનો સામનો એકજૂથ થઇને કર્યો. આજે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. કોરોના વાયરસ વેક્સિનનું ભારતમાં જ નિર્માણ થયું. આ મહામારીને લીધે આપણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને છ સાંસદોને ગુમાવ્યા છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું.