• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ઉમદા કાર્ય: ગ્રીનમેન વિરલ દેસાઈએ મુસ્લિમ બિરાદરોને ‘ઈદી’રૂપે આપ્યા 500 રોપા

પર્યાવરણ પ્રેમીઓ પર પર્યાવરણની રક્ષા અને તેના ફેલાવા માટે કોઈ પણ તક જતી કરતા નથી. વાર હોય કે તહેવાર હોય તેઓ તેનો પ્રચાર-પ્રસાર કરતા રહે છે અને પકૃત્તિનું જતન થાય તે દિશામાં કામ કરતા રહે છે. આવો જ એક પ્રયાસ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને કર્યો છે. ગ્રીનમેન તરીકે શહેરમાં નામના પામેલા વિરલ દેસાઈએ ઈસ્લામના સૌથી મોટા અને મહત્વના તહેવાર રમઝાન ઈદ નિમિત્તે 500 જેટલા રોપાઓનું વિતરણ મુસ્લિમ ભાઈઓને કર્યું હતું. સાથોસાથ તેઓએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતા.

આ ગ્રુપ સાથે મળીને કર્યું આયોજન

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા ‘લોકડાઉન હેલ્પ ગ્રુપ’ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.

તહેવારો સાથે પર્યાવરણ જોડવાથી લોકો તેના પ્રત્યે વધુ ગંભીર બને છે: વિરલ દેસાઈ

આ બાબતે ગ્રીનમેન વિરલ દેસાઈ જણાવે  છે કે, ‘દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.’

મસ્જિદો સુધી પર્યાવરણનો સંદેશો પહોંચાડવા પ્રયાસો કરીશું : બાબુ સોના

તો રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ‘વિરલભાઈએ જે રીતે ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ આ અગાઉ ‘ટ્રી ગણેશા’નું આયોજન કરી ચૂક્યા છે, જે અંતર્ગત તેમણે દેશભરમાં મુહિમ ચલાવીને વિવિધ શહેરોમાં હજારો વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.  

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »