• Wed. Nov 22nd, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

વાગડ વિશા ઓસવાળ સમાજ અને લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાઓના અંગદાન કરાયા

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વલસાડ અમરધામ કૉ.ઓ.સોસાયટી, શીલાપાર્ક કોમ્પ્લેક્ષ, તીથલ રોડ વલસાડ ખાતે રહેતા ૫૭ વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા કે જેઓ વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા.

મંગળવાર તા.૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૫:૩૦ કલાકે વિરેન્દ્રભાઈને એકા-એક બ્લડપ્રેસર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. મૂળ રહેવાસી ગામ વિભાણીયા, તા.કાલાવડ, જીલ્લો જામનગર અને હાલ હરેકૃષ્ણ સોસાયટી, કતારગામ ખાતે રહેતા ૪૦ વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા કે જેઓ રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ બુધવાર તા.૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૮:૦૦ કલાકે જમીને બેઠા હતા ત્યારે બ્લડપ્રેસર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પીટલમાં ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવાર તા.૧૭ સપ્ટેમ્બરના રોજ કિરણ હોસ્પીટલના ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. કિરણ હોસ્પીટલના ડૉ.મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થતા તેઓની ૨ કિડની, ૨ લિવર, ૧ હૃદય અને ૨ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું જેનાથી ૭ વ્યક્તિઓને નવુંજીવન મળ્યું.

સુરતથી ચેન્નાઈનું અંતર 180 મિનિટમાં કાપીને હ્દયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પીટલમાં આસામના રહેવાસી ૩૯ વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક ૨૦૧૯થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ ૫% થી ૧૦% જેટલું થઇ ગયું હતું. દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ૧૩ વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૨ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે બધા જ ટ્રાન્સપ્લાન્ટ લાઈવ એટલે કે દર્દીના પરિવારમાંથી કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હોસ્પીટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે જેના થકી કુલ ૧૯ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની આ સુડતાલીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ છત્રીસમી ધટના છે, જેમાંથી ૨૨ હૃદય મુંબઈ, ૭ હૃદય અમદાવાદ, ૫ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૨ કિડની, ૨૪ લિવર, ૧૦ હૃદય, ૧૪ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૦ ચક્ષુઓ સહીત કુલ ૧૩૧ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૨૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૨ કિડની, ૧૬૯ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૧૮ ફેફસાં અને ૩૦૪ ચક્ષુઓ કુલ ૯૩૭ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૫૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »